અચાનક નિવૃત્તિ લેવા અંગે ડિ વિલિયર્સે તોડ્યું મૌન, જણાવ્યું મુખ્ય કારણ
આ હારને કારણે તૂટી ગયો હતો ડિ વિલિયર્સ

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિ વિલિયર્સે કહ્યું કે, 2015 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારના આઘાતે લગભગ એક વર્ષ સુધી તેને તોડી નાખ્યો હતો અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિના તેના નિર્ણય પાછળ તેની મોટી ભૂમિકા હતી. સાઉથ આફ્રિકાને 2015 વર્લ્ડ કપમાં વરસાદથી પ્રભાવિત સેમી ફાઈનલમ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડકવર્થ લુઈસ પદ્ધતિના આધારે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
કરિયરની ટોચ પર રહી નિવૃત્તિ લીધી

ડિ વિલિયર્સે સ્વીકાર્યું કે, તેને આ હારના ઝટકામાંથી ઉબરવા માટે ઝઝૂમવુ પડ્યું. તેણે ‘ક્રિકબઝ ઈન કન્વર્ઝેશન’ દરમિયાન હર્ષા ભોગલેને કહ્યું કે, ‘આ હારે મને તોડી નાખ્યો હતો પણ મેં રમવાનું ચાલુ રાખ્યું હતું. મેં દરેક શક્ય પ્રયાસ કર્યો, ક્રિકેટ સાથે જોડાયેલા રહેવાની કોશિશ કરી. હું સારું બેટિંગ કરી રહ્યો હતો. હજુ પણ મારી શાનદાર યાદો છે.’ સર્વકાલિન સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક માનવામાં આવનારા ડિ વિલિયર્સે 36 વર્ષની ઉંમરે 2018માં અચાનક 14 વર્ષના ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધું હતું જ્યારે તે પોતાના કરિયરના સૂવર્ણ કાળમાં હતો.
નિવૃત્તિ વખતે આપ્યા હતા આવા કારણો

ડિ વિલિયર્સે તે સમયે પોતાની નિવૃત્તિનું કારણ જણાવતા કહ્યું હતું કે, હવે તેનામાં ‘દમ બચ્યો નથી’ અને તે ‘થાક અનુભવી રહ્યો’ છે. જોકે, એબીએ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની હારે તેના નિર્ણયમાં મોટી ભૂમિકા ભજવી હતી. સાઉથ આફ્રિકા માટે 114 ટેસ્ટમાં 8765 અને 228 વન-ડે મેચોમાં 9577 રન બનાવનારા ડિ વિલિયર્સે કહ્યું કે, ‘અંગત દૃષ્ટિકોણથી કહુ તો હા, તેને મોટી ભૂમિકા ભજવી હતી.’ તેણે કહ્યું, ‘તે રાતે અમે રમતથી હારી ગયા હતા અને તે વર્ષે મારા માટે તે હારમાંથી ઉબરવું મુશ્કેલ હતું.’
એક વર્ષ સુધી બહાર ન આવી શક્યો

ડિ વિલિયર્સે કહ્યું કે, ‘અમારે ફરીવાર શરૂઆત કરવાની હતી પણ હું આ સ્થિતિ એવી હતી કે, જરા થોભો, હું હજુ સુધી આ વર્લ્ડકપની હારમાંથી બહાર આવ્યો નથી. એટલે હા, હું ખૂબ જ સંવેદનશીલ છું અને હું કેવું અનુભવું છું તેમાં દરેક પ્રકારની વસ્તુઓ મોટી ભૂમિકા ભજવે છે.’ સાઉથ આફ્રિકાની ટીમ વિશ્વકપમાં ક્યારેય અપેક્ષા અનુસારનું પ્રદર્શન કરી શકી નથી અને તેને 1992 અને તથા 1999ની ટૂર્નામેન્ટ્સમાં પણ નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ડિ વિલિયર્સે કહ્યું કે, 2015ની હારથી તેને એક વર્ષ સુધી ઝઝૂમવું પડ્યું હતું અને તેને દુ:ખ છે કે, તે પોતાની ભાવનાઓનો ખુલીને સામનો ન કરી શક્યો.
Comments
Post a Comment