અ’વાદ: કોરોના વોરિયર્સ માટે ખાસ ઓફર, આ પેટ્રોલ પંપ પર અપાય છે સસ્તું પેટ્રોલ
‘કોરોના વોરિયર્સનો જુસ્સો જળવાઈ રહેવો જોઈએ’

અમદાવાદ: “આપણા કોરોના વોરિયર્સનો જુસ્સો જાળવી રાખવો જોઈએ. મહામારી હજી અહીં જ છે અને લાંબા સમય સુધી ચાલનારી લડાઈ છે.” આ શબ્દો છે વેપારી અજય જાનીના, જેઓ લોકડાઉન શરૂ થયું ત્યારથી પ્રતિ લિટર પેટ્રોલ-ડીઝલના ભાવ કરતાં બે રૂપિયા ઓછા લે છે. 58 વર્ષીય અજયભાઈ કોવિડ-19ના ફ્રંટલાઈન વોરિયર્સને સસ્તું પેટ્રોલ-ડીઝલ આપવાની સાથે દરેક વ્યક્તિને ફ્રીમાં હોમિયોપેથિક દવા આપે છે. મણિનગર સ્થિત તેમના પેટ્રોલ પંપેથી અજય જાની મફતમાં હોમિયોપેથિક દવાનું વિતરણ કરે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ફૂડ પેકેટ અને રાશન પણ વહેંચ્યા

લોકડાઉન શરૂ થયું ત્યારે અજયભાઈ અને તેમની ટીમે જરૂરિયાતમંદોમાં ફૂડ પેકેટ અને રાશન કિટ વહેંચી હતી. આ દરમિયાન મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પર હુમલો થવાના પણ ઘણા કિસ્સા સામે આવતા હતા. અજયભાઈએ કહ્યું, “લોકો કોરોના વોરિયર્સ સાથે ખરાબ વર્તન કરતા હતા. ત્યારે જ મને વિચાર આવ્યો કે જે લોકો કોરોના સામેની લડાઈનું નેતૃત્વ કરે છે તેમને ઓછા ભાવે પેટ્રોલ-ડીઝલ કેમ ના આપવું.”
બે રૂપિયા સસ્તું પેટ્રોલ આપે છે

આજે 80 દિવસથી વધુ સમય થયો છે ત્યારે ડૉક્ટરો, નર્સો, પેરામેડિક સ્ટાફ, કેંદ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, AMCના કર્મચારીઓ, સફાઈકર્મીઓ અને અન્ય કોરોના વોરિયર્સને મૂળ કિંમત કરતાં બે રૂપિયા ઓછા ભાવે અજયભાઈ પેટ્રોલ-ડીઝલ આપે છે. પોતાના પેટ્રોલ પંપ પર અજયભાઈએ કોરોના વોરિયર્સને સલામ કરતું મોટું હોર્ડિંગ લગાવ્યું છે.
પરપ્રાંતીય કર્મચારીઓને પણ બાંહેધરી આપીને રોક્યા

માઈનિંગ અને કંસ્ટ્રક્શન કામ સાથે પણ સંકળાયેલા અજય જાનીના ત્યાં 100થી વધુ લોકો કામ કરે છે. તેમાંથી મોટાભાગના અન્ય રાજ્યોના છે. અજય જાનીએ કહ્યું, “કર્મચારીઓમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ હતો. મેં તેમને રોકાઈ જવાની વિનંતી કરી અને ખાતરી આપી કે, તેમને પગાર અને રાશન કિટ મળશે. લોકડાઉન દરમિયાન ભાડાના મકાનમાંથી એકપણ કર્મચારીને મકાનમાલિક નહીં કાઢે તેની બાંહેધરી પણ આપી.”
હોમિયોપેથિક દવાનું પણ કરે છે વિતરણ

અજય જાની આર્સેનિક આલ્બમ 30 નામની હોમિયોપેથિક દવા પણ પોતાના પેટ્રોલ પંપ પરથી આપે છે, જેની ઈચ્છા હોય તે લઈ શકે છે. તેમણે કહ્યું, “રાજ્ય અને કેંદ્ર સરકાર આ દવાની જાહેરાત કરીને વેચાણ કરી રહી છે પરંતુ ખબર નહીં કેમ અત્યાર સુધી ઘરે-ઘરે પહોંચી નથી. મેં આ દવાનો જથ્થો દવાવાળા પાસેથી ખરીદીને રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 8.30 કલાક સુધી આપવાનું શરૂ કર્યું છે. જ્યાં સુધી મહામારીનું સંકટ ટળશે નહીં ત્યાં સુધી હું દવાનું વિતરણ ચાલુ રાખીશ. હું કોવિડ-19ના કેસ નોંધાયા હોય તેવી સોસાયટીઓમાં પણ જઈને આ દવા વહેંચું છું.”
Comments
Post a Comment