કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ
ઈસ્લામાબાદ: પોતાની ધરતી પર આતંકવાદીઓને શરણ આપનારા પાકિસ્તાને કરાચીના સ્ટોક એક્સચેન્જમાં સોમવારે થેયલા હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે દેશની સંસદમાં ભારત પર પાકિસ્તાનને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો છે. એક દિવસ પહેલા સોમવારે કરાચીમાં થયેલા હુમલામાં લગભગ 11 લોકોના મોત થઈ ગયા હતા અને દેશના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીના નિવેદનોને ભારતે બકવાસ જણાવ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial
ઈમરાને સંસદમાં કહ્યું છે કે, ‘મોટા પ્લાનિંગથી હિંદુસ્તાને પાકિસ્તાનને અસ્થિર કરવાનો પ્લાન બનાવ્યો હતો. તે ઘણો બધો દારુગોળો લઈને આવ્યા હતા, તેમનો માત્ર એક ઉદ્દેશ્ય હતો સ્ટોક એક્સચેન્જમાં હોસ્ટેજ કરી, મુંબઈની જેમ ઘણો મોટો ભય ફેલાવવો.’ ઈમરાને કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે હુમલા પાછળ ભારત છે. તેમણે કહ્યું કે, ‘બે મહિનાથી મારી કેબિનેટને જાણ હતી, મેં મારા મંત્રીઓને કહ્યું હતું. આપણી એજન્સીઓ હાઈ એલર્ટ પર હતી.’
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે, તેમણે પહેલા જ એ બાબતની ચેતવણી આપી હતી કે, ભારત પાકિસ્તાનમાં પોતાના ‘સ્લીપર સેલ’ને એક્ટિવ કરી રહ્યું છે. કુરેશીએ આરોપ લગાવ્યો કે, હુમલાની જવાબદારી લેનારી બલુચિસ્તાન બિલરેશન આર્મી (BLA)નો સંબંધ ભારત સાથે છે. તેમણે કરતારપુર કોરિડોરને ખેલવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાકિસ્તાન શાંતિની વાત કરે છે અને ભારતનું જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનનું સત્ય દુનિયાની સામે આવી રહ્યું છે.
ભારતે આપ્યો હતો જડબાતોડ જવાબ
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કરાચી હુમલાનો સંબંધ ભારત સાથે જોડવા પર પાકિસ્તાનના વિદેશ મંત્રીની ટીકા કરી અને તેમની ટિપ્પણીઓને ‘બકવાસ’ જણાવી. સ્ટેટમેન્ટ જારી કરી મંત્રાલયે કહ્યું કે, ‘દુનિયાના કોઈપણ ભાગમાં ઉગ્રવાદની ટીકા કરવામાં ભારત ખચકાતું નથી.’ કરાચીમાં થયેલા ઉગ્રવાદી હુમલાને લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રીની બકવાસ ટિપ્પણીઓને ફગાવે છે. પાકિસ્તાને પોતાની સ્થાનિક સમસ્યાનો આરોપ ભારત પર લગાવો ન જોઈએ.’
Comments
Post a Comment