મકાનનો સોદો કેન્સલ થાય તો બિલ્ડરે ગ્રાહકને કેટલા રુપિયા પાછા આપવા પડે?
કન્ઝ્યુમર કમિશનનો મહત્વનો ચુકાદો

અમિતઆનંદ ચૌધરી, નવી દિલ્હી: જો બિલ્ડર મકાનનું પઝેશન આપવામાં મોડું કરે, અને કોઈ વ્યક્તિ સોદો કેન્સલ કરવા ઈચ્છે તો બિલ્ડરે તેને કેટલી રકમ રિફન્ડ આપવી પડે? નેશનલ કન્ઝ્યુમર ડીસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને આ અંગે એક મહત્વનો આદેશ આપ્યો છે. સાથે જ કમિશને એવું પણ જણાવ્યું છે કે જો બિલ્ડર પઝેશન આપવામાં એકાદ વર્ષ મોડું કરે તો તે વાજબી ગણાય, અને તેના ગ્રાઉન્ડ પર ઘર ખરીદનાર તમામ રકમ પાછી માગી શકે નહીં.
1.68 કરોડના ફ્લેટનો મામલો

દિલ્હી નજીકના ગુરગાંવમાં એક વ્યક્તિએ 1.68 કરોડ રુપિયાનો ફ્લેટ 2013માં 10 લાખ રુપિયા ભરીને બુક કરાવ્યો હતો. બાદમાં બેંક લોન દ્વારા બિલ્ડરને ધીરે-ધીરે કરીને 1 કરોડ રુપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે, બિલ્ડરે વાયદા કરતા 14 મહિના મોડું છેક 2018માં પઝેશન ઓફર કર્યું હતું. પરંતુ ઘર ખરીદનારાએ પઝેશન લેવાનો ઈનકાર કરી દીધો હતો, અને સોદો કેન્સલ કરાવી પોતે જેટલી પણ રકમ ચૂકવી છે તે તમામ રિફન્ડ કરવાની માગ કરી હતી.
બિલ્ડર પોતાની મરજી અનુસાર રિફંડ નક્કી ના કરી શકે

જોકે, બિલ્ડરે તેનો ઈનકાર કરી દેતા સમગ્ર મામલો ગ્રાહક પંચમાં પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતા જસ્ટિસ વીકે જૈને જણાવ્યું હતું કે, બિલ્ડર પોતે કરેલા એગ્રિમેન્ટને આગળ ધરીને પોતાની મરજી અનુસાર રિફન્ડની રકમ નક્કી ના કરી શકે. આવા કિસ્સામાં થતાં એગ્રિમેન્ટ એક તરફી હોય છે, અને ગ્રાહકને તેમાં કંઈ કહેવાનો અવકાશ નથી હોતો જે ખોટું છે. ગ્રાહકે તમામ રકમ વ્યાજ સાથે પરત માગી હતી. જોકે, તેનો ઈનકાર કરતા કમિશને જણાવ્યું હતું કે બુકિંગ અમાઉન્ટને બાદ કરતાં બિલ્ડરે તમામ રકમ પાછી આપવી પડશે.
બુકિંગ અમાઉન્ટ બાદ કરતા તમામ રકમ પાછી આપવી પડે

આ કેસમાં ઘર બુકિંગ કરાવતી વખતે ગ્રાહકે 10 લાખ રુપિયા ભર્યા હતા. આ રકમને બુકિંગ અમાઉન્ટ ગણાવી કોર્ટે તે પાછી ના મળી શકે તેમ સ્પષ્ટ કર્યું હતું. વળી, ગ્રાહકે બિલ્ડરે પઝેશન આપવામાં 14 મહિના મોડું કર્યાનું કારણ આગળ ધરી રુપિયા પાછા માગ્યા હતા. જેના પર કમિશને જણાવ્યું હતું કે મોટા પ્રોજેક્ટમાં 1 વર્ષ અને બે મહિના મોડું થવું સામાન્ય બાબત ગણાય અને તેના આધારે ગ્રાહક સંપૂર્ણ રકમ બિલ્ડર પાસેથી વ્યાજ સહિત પાછી મેળવવાને હકદાર નથી.
Comments
Post a Comment