નેપોટિઝમ મુદ્દે સૈફ અલી ખાને કહ્યું- ‘હું પણ શિકાર થયો છું’ પરંતુ કરણ જોહરનો કર્યો બચાવ
નેપોટિઝમ મુદ્દે સૈફ તોડ્યું મૌન

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવુડમાં નેપોટિઝમના મુદ્દાએ જોર પકડ્યું છે. ફેન્સની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો પણ બોલિવુડના મોટા માથાઓ સામે આરોપ લગાવી રહ્યા છે. આ મોટા માથાઓએ કથિત રીતે સુશાંતને આત્મહત્યા કરવા પ્રેર્યો હોવાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે. હવે નેપોટિઝમ મુદ્દે એક્ટર સૈફ અલી ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
નેપોટિઝમ મુદ્દે પલટી મારી!

2017માં કંગના રણૌતે કરણ જોહરના શોમાં નેપોટિઝમ મુદ્દે વાત કરી હતી. એ વખતે સૈફ અલી ખાને તેનો સાથ આપ્યો હતો પરંતુ રિપોર્ટ પ્રમાણે હવે સૈફે પલટી મારી છે. સુશાંતના મોત બાદ કરણ જોહર સતત ટ્રોલ થઈ રહ્યો છે અને ટીકાને પાત્ર બન્યો છે. સૈફે નેપોટિઝમ મુદ્દે વાત કરતાં કહ્યું, ‘ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે પોતાને આ માટેનો સિમ્બોલ બનાવી દીધો છે અને એટલે જ આજે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.’
કરણ જોહરનો કર્યો બચાવ

કરણનો બચાવ કરતાં સૈફે એમ પણ કહ્યું કે, “આ મુદ્દાની પાછળ પણ અનેક વાર્તા છુપાયેલી છે પરંતુ લોકોને તે જાણવામાં રસ નથી. આપણા દેશમાં અસમાનતાઓ છે અને તેના વિશે વિસ્તારપૂર્વક વાત થવી જોઈએ. નેપોટિઝમ, ફેવરિટીઝમ અને કેમ્પ્સ અલગ બાબતો છે.” રસપ્રદ વાત તો એ છે કે, કોઈનું પણ નામ લીધા વિના સૈફ અલી ખાને કહ્યું કે, તે પોતે પણ નેપોટિઝમનો શિકાર બન્યો છે.
હું પણ નેપોટિઝમનો શિકાર બન્યો છું: સૈફ

સૈફે કહ્યું, “નેપોટિઝમનો શિકાર તો હું પણ બન્યો છે પરંતુ આ જાણવામાં કોઈને રસ નથી. બિઝનેસ આ રીતે જ ચાલે છે. હું નામ નહીં લઉં પરંતુ મારી સાથે ઘણીવાર એવું થયું છે કે, કોઈના પિતાનો ફોન આવતો અને તેઓ કહેતા કે આને ફિલ્મમાં ના લેતા, તેના બદલે આને લેજો. આ બધું થતું રહે છે, મારી સાથે પણ થયું છે.”
આઉટસાઈડર્સની સફળતાથી ખુશ છે સૈફ

સૈફે કહ્યું, “ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ તો ચાલતો રહે છે પરંતુ દરેકને સમાન તક મળવી જોઈએ. હું ખુશ છું કે, આજે આઉટસાઈડર્સે પોતાના દમ પર અહીં જગ્યા બનાવી છે. બોલિવુડમાં એક અલગ માર્ગ ચીંધ્યો છે. પંકજ ત્રિપાઠી અને નવાઝુદ્દીન સિદ્દીકીની સફળતાથી ખુશ છું. આજે તેઓ જાણીતા નામ બની ગયા છે.”
Comments
Post a Comment