સુરતમાં રુપાણીની સ્પષ્ટ વાત: કોરોના વચ્ચે જ કામ કરવાનું છે, સંપૂર્ણ લોકડાઉન નહીં આવે

ગુજરાતમાં સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે પરિસ્થિતિ વકરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે સુરતની મુલાકાત લીધી હતી અને કોરોના સામે લડવા માટે લેવાઈ રહેલા પગલાંઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ બાદમાં મીડિયા સાથેની વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે સુરતમાં આગામી રૂપિયા 100 કરોડના ખર્ચે બે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. જોકે, તેમણે સંપૂર્ણ લોકડાઉન નહીં કરવામાં આવે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.


લોકડાઉન નહીં થાય તે માટે સરકાર સ્પષ્ટ છે


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ફરીથી લોકડાઉન લાવવાની કોઈ વાત નથી. આ માટે સરકાર સ્પષ્ટ છે. કોરોના વચ્ચે રહીને આપણે કામ કરવાનું છે. આપણે વ્યવસ્થા એવી બનાવવાની છે કે ચેપ ન ફેલાય. જો જરૂર પડે તો જે તે વિસ્તાર કે સેક્ટરને માઈક્રોકન્ટેઈન્મેન્ટ કરી શકીએ છીએ પરંતુ સંપૂર્ણ લોકડાઉન નહીં થાય તે માટે સરકાર સ્પષ્ટ છે.


અમદાવાદમાં ચેપને નિયંત્રણ રાખવામાં સફળ રહ્યા


તેમણે કહ્યું હતું કે, સુરતમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે. ગુજરાતમાં જૂન મહિનાથી આખા મહિનામાં આપણે કોરોનાના ચેપને પ્રમાણમાં રોકી શક્યા છીએ. પહેલા સ્થિતિ એવી હતી કે અમદાવાદમાં કોરોનાના કેસ ખુબ વધી રહ્યા હતા અને મૃત્યુનું પ્રમાણ પણ વધતું હતું. પરંતુ સ્ટ્રેટેજી બનાવીને તથા જે તે વિસ્તારમાં જઈને, ત્યાં જ લોકોને નાના મોટા રોગ તેની દવા અને ઉપચાર કરીને ત્યાંથી જ તેને રોકવામાં આવ્યો છે. સિરિયસ કેસ હોય ત્યાં તેને રિફર કરવામાં આવે છે. અમદાાદમાં ધન્વંતરી રથનો પ્રયોગ સફળ રહ્યો છે. જૂનમાં કેસ અને મૃત્યુનું પ્રમાણ ઘટ્યું અને ચેપને પ્રમાણમાં રોકી શક્યા છીએ.


સરકાર સુરતની ચિંતા કરી રહી છે


મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, થોડા દિવસથી સુરત અને રાજ્યના અમુક અમુક જિલ્લામાં કેસ વધ્યા છે. સરકાર પ્રથમ દિવસથી જ સુરતની ચિંતા કરી રહી છે. સુરતમાં એડિશનલ ચિફ સેક્રેટરી પંકજ કુમાર તથા હેલ્થ સેક્રેટરી જયંતિ રવિ પણ અહીં જ છે અને અહીં જ રહેશે. ફાઈનાન્સ સેક્રેટરીને પણ અહીં મોકલીને સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા કરી છે. સુરતમાં ચેપને કેમ નિયંત્રણ કરવું તેના સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે. ધારાસભ્યો, સંસદ સભ્યો, અધિકારીઓ સાથે બેઠક કરી. ત્યારબાદ સુરતના ડોક્ટરો સાથે પણ ચર્ચા કરી અને હવે તમારી વચ્ચે આવ્યા છીએ. સરકાર દરરોજ સાંજે એક સપ્તાહથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતના અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરે છે અને આજે હું રૂબરુ આવ્યો છું.


100 કરોડના ખર્ચે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ બનાવાશે


સૌ પ્રથમ તો સુરતની કિડની હોસ્પિટલ અને સુરતની સ્ટેન્સિલ હોસ્પિટલને ઝડપથી 100 કરોડનો ખર્ચો કરીને બંને હોસ્પિટલોને કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ બનાવવામાં આવશે. જેથી ભવિષ્માં કેસ વધે તો પૂરતી સગવડ મળી રહે. કોઈ રાષ્ટ્ર કે રાજ્યની સરકાર કોરોનાની વિશ્વ વ્યાપી મહામારીને જીતી શકી નથી. સરકારની જવાબદારી દર્દીને તાત્કાલિક સારવાર, વેન્ટિલેટર, દવા, બેડ, ડોક્ટર્સ વગેરે મળી રહે તેની છે. ગુજરાતમાં બેડ નથી એવી ક્યાંય ફરિયાદ ન આવે તે માટે સરકાર કાર્યરત છે. ટ્રિટમેન્ટ થાય તેવી વ્યવસ્થા છે. સુરતમાં પણ ખૂબ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આઠ-દસ દિવસમાં તો સ્ટેન્સિલ હોસ્પિટલને કાર્યરત કરીએ છીએ. કિડની હોસ્પિટલને પણ કાર્યરત કરીશું. છ-સાત એજન્સી એક સાથે કામે લાગી છે. ઝડપથી હોસ્પિટલો તૈયાર કરાશે.


100 ધન્વંતરી રથ અને 200 વેન્ટિલેટર્સ


– મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 200 વેન્ટિલેટર્સ રવિવાર સુધીમાં સુરત પહોંચી જશે અને સોમવાર સુધીમાં ચાલું થઈ જશે. સુરત શહેર અને સુરત ગ્રામ્યનું ડિટેઈલિંગ કરવામાં આવ્યું છે અને પ્રજા પાસે અપેક્ષા છે કે કોરોના સામે આપણી લાંબી લડાઈ છે. તેથી ફરજીયાત માસ્ક પહેરવું નહીં તો સરકાર દંડ કરશે. મોટા પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે. તેથી હું વિનંતી કરું છું કે માસ્ક વગર કોઈ વ્યક્તિ જાહેરમાં ન આવે.
– રાજ્ય સરકારની પોલીસી છે કે ખાનગી હોસ્પિટલો 50 ટકા બેડ સરકારને આપે અને 50 ટકા બેડનો ખર્ચ સરકાર ભોગવે છે. આ પોલિસીના કારણે ખાનગી હોસ્પિટલો પણ મેદાનમાં આવી છે અને તેનાથી જનતાને રાહત થઈ છે. રાજ્ય સરકારે સુરતમાં 100થી વધુ ધન્વંતરી રથ તૈયાર કર્યા છે. 104 નંબર ડાયલ કરે એટલે વધુમાં વધુ બે કલાકમાં ગાડી તેના ઘરે જશે અને તેને માર્ગદર્શન આપશે અને જરૂર પડશે તો હોસ્પિટલ લઈ જવાશે.


નિયમોનું ઉલ્લંઘન થશે તો કોઈ પણ બજાર બંધ કરાશે


ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ અને ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કેસ વધ્યા છે. તેથી આ બંને ઈન્ડસ્ટ્રીઝને કેવી રીતે ચલાવવાની છે તેનો નિર્ણય કરવો પડશે. તેમાં ચેપ ન વધે અને તે રીતે આગળ વધવાનું છે. જો નિયમનું ઉલ્લંઘન થશે તો ગમે તે કારખાનુ કે ઈન્ડસ્ટ્રીઝ કે બજાર બંધ કરી દેવામાં આવશે. કારણ ચેપ ત્યાંથી વધે છે તે હકીકત છે અને સુરતના બધા લોકોની જવાબદારી આપણી છે. આપણા લીધે બીજાને ચેપ ન લાગે તે જવાબદારી આપણી છે. તેથી અમે અધિકારીઓ અને જેતે ઈન્ડસ્ટ્રીઝના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...