કોરોના વાયરસઃ અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા
અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે અને કેસ તથા મૃત્યુઆંકની સંખ્યા સતત ઘટી રહી છે. તેવામાં શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાંઓની સમીક્ષા માટે શુક્રવારે અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરમાં રહેલા 60 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાંથી બે માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બે વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાંથી દૂર કરાયા
અમદાવાદ શહેરમાં કુલ 60 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર છે. શુક્રવારે મળેલી બેઠકમાં આ 60માથી બે માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સાઉથ ઝોનના વટવા વોર્ડમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટી, સ્મૃતિ મંદિર વિસ્તારને દૂર કરાયો છે. જેમાં 200 મકાનો હતા અને 750 જેટલા લોકો રહે છે. બીજો વિસ્તાર નોર્થ વેસ્ટ ઝોનના બોડકદેવ વોર્ડનો ગેલેક્સી ટાવર છે. આ ટાવરમાં 142 મકાનમાં 496 લોકો રહે છે.
નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા
શુક્રવારે યોજાયેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ જે 26 વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે તેમને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં સ્ક્રીનિંગ હાથ ધરાશે
નવા 26 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શનિવારથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. સર્વેની કામગીરી દરમિયાન ધ્યાનમાં આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ પણ લેવામાં આવશે.
બેઠકમાં આ અધિકારીઓ રહ્યા હતા હાજર
અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેલ્થ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા.
Comments
Post a Comment